વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા શિવ શક્તિનગરમાં 42 વર્ષીય અનુપ પટેલ નામના યુવકની નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે. માથાભારે શખ્સોએ હત્યા કરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
માથાભારે મનુ યાદવના પુત્રો અને તેમના સાગરીતોએ મળીને આ હત્યા કરી
સ્થાનિકોના જણાવ્યા અનુસાર માથાભારે મનુ યાદવના પુત્રો અને તેમના સાગરીતોએ મળીને આ હત્યાને અંજામ આપ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
અનુપ પટેલને લોખંડના રોડથી માર માર્યો
પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓએ અનુપ પટેલને લોખંડના રોડથી માર માર્યો હતો તેમજ બરેલી ગાડી સાથે વારંવાર માથું અથડાવી ગંભીર ઈજા પહોંચાડી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ અનુપ પટેલનું મોત નિપજ્યું હતું.
પોલીસ પહોંચે તે પહેલાં જ લુખ્ખા તત્વો ફરાર
ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ લુખ્ખા તત્વો ફરાર થઈ ગયા હતા.
ગેરકાયદેસર ઓરડીઓ બનાવી ભાડે આપવામાં આવતી
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મનુ યાદવના પુત્રો દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર ઓરડીઓ બનાવી ભાડે આપવામાં આવતી હતી અને અગાઉથી વિસ્તારમાં દાદાગીરી ચાલતી હતી.
ચારથી પાંચ લોકો અનુપ પટેલને બેફામ રીતે મારતા હતા
સ્થાનિક મહિલા મંજુબેન પટેલ ખુલીને સામે આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ચારથી પાંચ લોકો અનુપ પટેલને બેફામ રીતે મારતા હતા. જ્યારે તેઓ અનુપને બચાવવા ગયા ત્યારે 20થી 25 લોકોનું ટોળું આવી પહોંચ્યું અને અનુપ પર વધુ હુમલો કર્યો હતો. મંજુબેન પટેલે વધુમાં જણાવ્યું કે તેઓ છોડાવવા ગયા ત્યારે તેમને પણ ત્રણથી ચાર ઝાપટ મારી ગાડી સાથે અથડાવામાં આવ્યા હતા.
સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ માટે ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો---- Uttarayan : પતંગોત્સવની રંગેચંગે ઉજવણી શરુ, પવન સારો હોવાથી લોકોમાં ઉત્સાહ, આજે દિવસભર સારો પવન રહેવાની શક્યતા