ચોમાસાની શરૂઆત પહેલાં જ અમદાવાદીઓ માટે ચિંતાજનક અને સાવધ કરનારા અહેવાલો સામે આવ્યા છે. આ ચોમાસામાં પણ અમદાવાદ શહેરના 20 જેટલા અંડરપાસમાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે વાહનચાલકોની મુશ્કેલીઓ વધી શકે છે.


કોર્પોરેશને આગોતરું આયોજન કર્યું

જોકે, આ પાણીના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરા આયોજનના નામે કરોડો રૂપિયાના આંધણ કરવામાં આવ્યા છે. અંડરપાસમાંથી પાણી ઉલેચવા માટે મ્યુનિસિપલ તંત્રે એક ચોક્કસ એજન્સી પર મહેરબાની કરી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

પાણી ઉલેચવા માટે આશરે 1.61 કરોડનો મોટો કોન્ટ્રાક્ટ અપાયો

તંત્ર દ્વારા મેસર્સ માના ટેકનો કોર્પોરેશન નામની કંપનીને પાણી ઉલેચવા માટે આશરે 1.61 કરોડનો મોટો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, ચોમાસાની સિઝન માત્ર 4 મહિનાની જ હોય છે, પરંતુ તંત્ર દ્વારા આ કંપનીને આખાય એક વર્ષનો કોન્ટ્રાક્ટ પધરાવી દેવાયો છે.

1.75 કરોડનો ખર્ચ થવાનો અંદાજ

અમદાવાદના તમામ અંડરપાસ પાછળ કુલ 1.75 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, જેમાંથી માત્ર 12 અંડરપાસના પાણી નિકાલ માટે જ આ કંપનીને 1.61 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવશે. દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના દાવા કરતું તંત્ર આ વર્ષે પણ કરોડોના ખર્ચ બાદ અમદાવાદીઓને પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ અપાવી શકશે કે નહીં, તે તો આવનારો વરસાદ જ બતાવશે. ત્યાં સુધી નાગરિકોએ પોતે જ સાવધ રહેવું પડશે.


આ પણ વાંચો----     Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી

  • Follow us on: