ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે.આ સિસ્ટમ અને મોસમી ટ્રફની સંયુક્ત અસરને કારણે સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાની પ્રબળ શક્યતા છે.હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારો માટે આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં માટે હળવાથી મધ્યમ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાત્રે 10 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. 


રાત્રે 10 વાગ્યા સુધી વરસાદનું એલર્ટ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ એલર્ટ હેઠળ ખાસ કરીને રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ,વલસાડ, નવસારીને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારો માટે કડક ચેતવણી

હવામાન વિભાગે માછીમારો માટે કડક ચેતવણી જારી કરી છે.આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. બંદર વિસ્તારોમાં પણ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દેવાયું છે. પવન અને ગાજવીજના કારણે લોકોને વીજળીના થાંભલા કે નબળા વૃક્ષો નીચે ઊભા ન રહેવા અને વહીવટી તંત્રની ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Gujarat News: ચોમાસા પહેલા રાજ્યની પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલ માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી


  • Follow us on: