નાણાકીય વર્ષ 2025-26 (એસેસમેન્ટ યર 2026-27) માટે કેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલિંગના કેલેન્ડરમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. નવા નિયમો મુજબ નોકરીયાત કર્મચારીઓ, પેન્શનર્સ અને કેપિટલ ગેઈન ધરાવતા ટેક્સપેયર્સ માટે અગાઉની જેમ જ 31 જુલાઈ, 2026 સુધી ITR-1 અને ITR-2 ફાઈલ કરવાની સમયમર્યાદા યથાવત રાખવામાં આવી છે. જોકે, ટેક્સ ઓડિટ લાગુ ન પડતા નાના વેપારીઓ, ફ્રીલાન્સર્સ અને પ્રોફેશનલ્સને મોટી રાહત આપવામાં આવી છે.
આ વેપારીઓને મળશે રાહત?
ITR-3 અને ITR-4 ભરતા એવા ટેક્સપેયર્સ જેમને ટેક્સ ઓડિટની જરૂર નથી, તેઓ હવે 31 જુલાઈના બદલે 31 ઓગસ્ટ, 2026 સુધી પોતાનું રિટર્ન દાખલ કરી શકશે. ફ્રીલાન્સર્સ અને નાના વ્યવસાયકારો માટે હિસાબો અને બેલેન્સ શીટ તૈયાર કરવામાં વધુ સમય લાગતો હોવાથી આ એક મહિનાની વધારાની મુદત તેમને ઉપયોગી બનશે. સરકારે રિવાઈઝ્ડ રિટર્ન દાખલ કરવાની સમયમર્યાદામાં પણ વધારો કર્યો છે. અગાઉ રિટર્નમાં થયેલી ભૂલો સુધારવા માટે એસેસમેન્ટ યરના 31 ડિસેમ્બર સુધીનો સમય મળતો હતો. હવે આ મર્યાદા વધારીને 31 માર્ચ, 2027 કરવામાં આવી છે. એટલે કે જો 80C હેઠળની કપાતનો દાવો છૂટી ગયો હોય અથવા એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS)માં કોઈ ગેરરીતિ જોવા મળે તો તેને સુધારવા માટે ટેક્સપેયર્સને વધુ ત્રણ મહિનાનો સમય મળશે.













