ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અમદાવાદના ઈન્ડિયા કોલોની વોર્ડમાં સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવારોને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો છે. અનીલ સ્ટાર્ચ મીલ પાસે પ્રચાર અર્થે પહોંચેલા ભાજપના ઉમેદવારો અને કાર્યકરોને સ્થાનિક લોકોએ અટકાવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. લાંબા સમયથી પડતર પ્રશ્નો અને પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.
ઉમેદવારોનો ઘેરાવો અને ઉગ્ર વિરોધ
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાજપના ઉમેદવાર ઘનશ્યામ બારોટ અને પંકજ પટેલ જ્યારે તેમના સમર્થકો સાથે ઈન્ડિયા કોલોની વિસ્તારમાં જનસંપર્ક માટે પહોંચ્યા ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે જ નેતાઓ દેખાય છે, જ્યારે વિસ્તારમાં રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓના ઠેકાણા નથી. વારંવાર રજૂઆતો છતાં કોઈ કામ ન થતા લોકોનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો.













