રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી વોર્ડ નંબર 2 ની બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભારતીય ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના બહેન અને કોંગ્રેસના આક્રમક નેતા નયનાબા જાડેજાને હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, આ હાર બાદ નયનાબાએ જે પ્રકારે નિવેદન આપ્યું છે તેનાથી રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને ભડકો થવાની પૂરી શક્યતા છે.


"આગેવાનો ઘરમાં જ બેઠા રહ્યા"

હાર બાદ મીડિયા સાથે વાતચીત કરતા નયનાબા જાડેજાએ પોતાની નારાજગી ખુલ્લેઆમ ઠાલવી હતી. તેમણે પોતાની હારનો ટોપલો કોંગ્રેસના જ સંગઠન અને સ્થાનિક આગેવાનો પર ઢોળ્યો હતો. નયનાબાએ કોઈનું પણ નામ લીધા વગર આક્ષેપ કર્યો હતો કે, "ચૂંટણી પ્રચારમાં અમુક મોટા આગેવાનોને મદદે આવવાની જરૂર હતી, પરંતુ તેઓ ઘરમાં જ બેઠા રહ્યા." તેમણે વધુમાં ઉમેર્યું કે રાજકોટમાં કોંગ્રેસનું સંગઠન હજુ મજબૂત કરવાની ખૂબ જ જરૂર છે.

પક્ષમાં આંતરિક ખેંચતાણ છતી થઈ

નયનાબાની આ હાર અને ત્યારબાદના આકરા પ્રહારોએ સાબિત કર્યું છે કે રાજકોટ કોંગ્રેસમાં બધું બરાબર નથી. કાર્યકરો મહેનત કરતા રહ્યા પણ મોટા ગજાના નેતાઓએ સાથ ન આપ્યો હોવાની વાત હવે જગજાહેર થઈ છે. જો કોંગ્રેસના જ નેતાઓ સક્રિય રહ્યા હોત તો નયનાબાનું પરિણામ અલગ હોઈ શક્યું હોત. હાલમાં નયનાબાના આ નિવેદનથી રાજકોટના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.


આ પણ વાંચો----    Gujarat Local Body Election Results 2026: ગુજરાતમાં છવાયો કેસરીયો, જાણો કાર્યકર્તાઓ સાથેની એ કઈ સીક્રેટ મંત્રણા હતી જેણે વોટિંગ પેટર્ન જ બદલી નાખી?

  • Follow us on: