દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં કુદરતનો બેહદ કાળમુખો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બે શક્તિશાળી ભૂકંપના કારણે સર્જાયેલી ભારે તબાહી અને 900થી વધુ લોકોના ભયાનક મોતની ઘટનાના હજુ બે જ દિવસ થયા છે ત્યાં શુક્રવારે ફરી એકવાર વેનેઝુએલાની ધરતી જોરદાર રીતે ધ્રૂજી ઉઠી છે. ઉત્તરી તટ પાસે આવેલા 4.9 ની તીવ્રતાના આ નવા ભૂકંપના ઝટકાના કારણે રાજધાની કારાકાસ અને મારાકે સહિતના શહેરોમાં લોકોમાં ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે. આ નવા ઝટકાને કારણે કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી રહેલી બચાવ ટુકડીઓને પણ સુરક્ષાના કારણોસર થોડીવાર માટે ઓપરેશન રોકવું પડ્યું હતું.
બેક-ટુ-બેક બે ભૂકંપે સર્જી હતી તબાહી
આ અગાઉ બુધવારે સાંજે વેનેઝુએલામાં એક પછી એક 7.2 અને 7.5 ની તીવ્રતાના બે અત્યંત વિનાશક ભૂકંપ આવ્યા હતા. આ ધરતીકંપ એટલો શક્તિશાળી હતો કે મોટી-મોટી રહેણાંક ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી અને આખેઆખા વિસ્તારો કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયા હતા. સરકારી આંકડાઓ અનુસાર, આ આપત્તિમાં અત્યાર સુધીમાં 920 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 3,360 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હજુ પણ 172 થી વધુ લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે અને 50,000 થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે.













