વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપોએ માત્ર રહેણાંક વિસ્તારોને જ નહીં, પરંતુ દેશની આર્થિક કરોડરજ્જુ ગણાતા ઉર્જા ક્ષેત્ર (Energy Sector) ને લઈને પણ ચિંતાઓ વધારી દીધી છે. રાજધાની કારાકાસ સહિતના વિસ્તારોમાં હજારો લોકોના મોતની આશંકા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત થવાને કારણે હવે એ સવાલ ઊભો થયો છે કે શું આ આપત્તિની અસર વેનેઝુએલાના વિશાળ તેલ ભંડાર પર પણ પડશે? વૈશ્વિક બજારમાં તેલના મોટા ઉત્પાદકોમાંના એક હોવાને કારણે અહીંની સપ્લાય ચેઈન ખોરવાય તો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ પર મોટી અસર પડી શકે છે.


શું ભૂકંપથી તેલના ભંડારને અસર થાય?

વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર, તીવ્ર ભૂકંપ પૃથ્વીના પેટાળમાં આવેલા તેલના ભંડારોની અંદરના દબાણમાં ફેરફાર કરી શકે છે. કેટલાક કિસ્સામાં તેનાથી તેલનો પ્રવાહ અસ્થાયી રૂપે વધી જાય છે, તો વળી ભૌગોલિક સંરચનામાં ગરબડ થવાને કારણે લાંબે ગાળે ઉત્પાદન ઘટી પણ શકે છે. જોકે, સૌથી મોટું નુકસાન જમીનની ઉપર બનેલી રિફાઇનરીઓ, પાઇપલાઇન્સ, સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન નેટવર્કને થતું હોય છે.

વેનેઝુએલાના ઓઇલ સેક્ટરની વર્તમાન સ્થિતિ

રાહતની વાત એ છે કે પ્રારંભિક આંકડા મુજબ વેનેઝુએલાના મુખ્ય તેલ ઉત્પાદક વિસ્તારો અને રિફાઇનિંગ ફેસિલિટીઝ જ્યાં આવેલી છે, ત્યાં આ ભૂકંપની સીધી અસરો થઈ નથી. મુખ્ય ઓઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુરક્ષિત હોવાનું મનાય છે. પરંતુ ખરી આફત વિજળી સંકટની છે. ભૂકંપના કારણે સમગ્ર દેશમાં પાવર ગ્રીડ ખોરવાઈ ગઈ છે. તેલ ઉત્પાદન, પમ્પિંગ અને ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણપણે વીજળી પર નિર્ભર હોવાથી, જો આ પાવર કટ લાંબો ચાલશે તો ઉત્પાદનમાં આપોઆપ મોટો ઘટાડો નોંધાઈ શકે છે.

મોટા આર્થિક નુકસાનની આશંકા

યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) ના અંદાજ મુજબ, આ કુદરતી આપત્તિના કારણે વેનેઝુએલાને તેના કુલ જીડીપી (GDP) ના 2% થી 20% જેટલું જંગી આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. સિમોન બોલીવર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને મેટ્રો સેવાઓ સંપૂર્ણ બંધ છે. જ્યારે કાટમાળ નીચે દબાવવાના કારણે મૃત્યુઆંક 10,000ને પાર થવાની સંભાવના 44% જેટલી દર્શાવવામાં આવી છે, જે દેશ માટે ખૂબ મોટી માનવ અને આર્થિક ટ્રેજેડી છે.

આ પણ વાંચો:Venezuelaમાં ભૂકંપથી તબાહી,PM મોદીએ ભારત તરફથી મદદની કરી જાહેરાત


  • Follow us on: